Saturday, May 8, 2021

બ્લેકમાર્કેટનું કર્મ

આ પોસ્ટમાં લખેલ માઇક્રોફિક્શન વાર્તા મારી લખેલી નથી પણ બાળપણમાં આ સાંભળી હતી જેને હું મારા શબ્દોમાં રજૂ કરું છું.

વાર્તા: બ્લેકમાર્કેટનું કર્મ

બે બકરીઓ કસાઈવાડે પહોંચી. એક બકરી સખત ધ્રૂજતી હતી. બીજી બકરી શાંત હતી. ધ્રૂજતી બકરીએ પૂછ્યું, "આ કસાઈ હમણાં આપણને કાપી નાખશે અને આપણે મરી જઈશું, તને ડર નથી લાગતો?" બીજી બકરી બોલી, "મને આ કસાઈની ચિંતા છે" ધ્રૂજતી બકરી વિચારમાં પડી, "એટલે?" શાંત બકરીએ સમજાવતા કહ્યું, "આપણે આખી જિંદગી ખાલી ઘાસ ખાધું છે અને કોઈ જીવહત્યા નથી કરી, તો પણ આપણું મૌત આટલું દર્દનાક છે તો પછી આ કસાઈ શું થશે?"

બોધપાઠ: આજકાલ કાળાબજારી કરી રહેલા અને બીજાનો ફાયદો ઉઠાવતા લોકો કર્મનો સિદ્ધાંત ભૂલી રહ્યા છે પણ નિર્દોષ લોકોની થોડીક તકલીફ ભરેલું આ પિક્ચર એવા લોકોના ભવિષ્યનું એક માત્ર ટ્રેલર છે.
✍️નિશાંક મોદી

ટૂંકો લેખ: યે સમય બડા બલવાન હૈ ભાઈ

આજે અમદાવાદમાં ડ્રાઇવ-થ્રુ વેકસીનેશનમાં એક સો પચાસથી વધુ ગાડીઓની લાઇન છે, આવી લાઇન વર્ષો પહેલાં ડ્રાઇવ-ઇન થિયેટરમાં ટીકીટ લેવા માટે જોવા મળતી. આટલી મોટી કતારમાં ઉભા રહ્યા પછી પિક્ચરની ટીકીટ મળવી એ એક ઉપલબ્ધિ કહેવાતી. આજે એ હાથવગું થઈ ગયું તું, ચાર ક્લિક અને ટીકીટ બુક. જો કે બે વર્ષથી એ પણ જતું રહ્યું છે. વસ્તુઓ અને પરિસ્થિતિ કેટલી ઝડપી બદલાય છે.

પેટ્રોલપંપ પર મોબાઈલના રેડિયેશનના કારણે સ્વીચ ઓફ અથવા તો ના વાપરવાની સલાહ મળતી. હવે આજે તો પેમેન્ટ જ મોબાઈલથી ચાલુ થઈ ગયું. એક જગ્યાએ તો મેં પંપની બાજુમાં QR Code નું સ્ટીકર ચોંટાડેલુ જોયુ તું. તો શું સમય જતાં રેડિયેશન બદલાઈ ગયું કે પછી પેટ્રોલની જ્વલનશીલતા ઘટી ગઈ🤔

બે વર્ષ પહેલાં સેનિટાઇઝર, પલ્સ ઓક્સીમીટર, ઓકિસજન કોન્સન્ટ્રેશન મશીન આવી ઘણી બધી વસ્તુઓ જે મેડિકલ સ્ટાફ સિવાય કોઈને ખબર પણ નતી, આજે એ ઘરે ઘરમાં ઓળખાતી થઈ ગઈ. સામાન્ય તાવ, ઉધરસ, ખાંસી, પેટમાં દુખાવો, ઝાડાઉલ્ટી, ખંજવાળ જેવી વસ્તુઓ માટે હવે લોકો પણ ડોકટર જોડે જવાનું ટાળે છે. પ્રાથમિક સારવાર હવે મોટા ભાગે ઘરેથી જ થઈ જાય છે. નહિતર પહેલા લાલપીળી ત્રણ ચાર ગોળી લેવા માટે પણ કતારમાં બેસતા હતા.

હું પણ નથી ઈચ્છતો આ વેવ વધુ ચાલે, નહિતર છેલ્લા બે વર્ષમાં જન્મેલા બાળકોને એવું જ લાગશે કે દુનિયામાં કપડાંની જેમ માસ્ક પણ પહેરવાનો રિવાજ છે. બે ત્રણ વર્ષનું બાળપણ જો ઘરમાં જ જાય તો જાણે એવું લાગે કે ઘરની બહાર જવાનો કોઈ નિયમ નથી. અમે સ્કૂલમાં હતા ત્યારે પેલું CRTવાળું ટીવી પણ દૂરથી જોવાની સલાહ મળતી અને થોડાક સમય પહેલાં બાળકોને સ્કૂલમાંથી મોબાઈલ દૂર રાખવાની સલાહ અપાતી, હવે શિક્ષણ પદ્ધતિમાં મોબાઈલ અને કોમ્પ્યુટર જાણે ચોપડી કરતા પણ વધુ મહત્વના છે. તો શું વાયરસ આંખોમાં ચમક ભરી ગયો?

ધર્મસ્થાનો પર નિયમ મુજબ જવું અને ચુસ્તપણે પોતાના નિયમોનું પાલન કરવું. આજે ધાર્મિક સ્થાનો અને નિયમો બધું જ બંધ થઈ ગયું અથવા તો લોકોએ જાતે જ બંધ કરી દીધું જવાનું. વર્ષોથી એક વસ્તુ કહેવામાં આવે છે સગવડીયો ધર્મ. આપણે બધી જ વસ્તુઓ અને પરિસ્થિતિ માટે નિયમો બનાયા અને સમય જતાં એ નિયમો રિવાજ બની ગયા અને હવે આપણે જ આમાં ફેરફાર કરીએ છીએ અને વળી નિયમો બદલીએ છે. હકીકતમાં સમય બળવાન બની આપણને ફેરવે છે અને આપણને એવું લાગે છે ઘડિયાળના કાંટા ફરે છે. આજકાલ સમયે ઘણું બધું બંધ કરી દીધું, સગાંવહાલાંના ઘરે જવાનું, મૉલ, થિયેટર, પીકનીક, ટ્રાવેલિંગ, ઘણાના બેંક એકાઉન્ટ અને ઘણાંના તો શ્વાસ. બસ ખુલ્લા છે તો ટ્રાફિક વગરના રોડ, ખુલ્લી છે જરૂરિયાતની વેચાતી વસ્તુઓ, મેડીકલની દુકાનો અને ખુલ્લું છે એક આકાશ, જેમાંથી હજુ પણ એક આશા છે કે સમય હજીય ફરી બદલાશે અને ફરી પાછું બધું નોર્મલ થઈ જશે...કારણ સમય કાલે પણ બળવાન હતો, આજે પણ છે, કાલે પણ રહેશે અને આપણે એની આગળ તણખલું છીએ...🤗

✍️નિશાંક મોદી

Tuesday, May 4, 2021

ટૂંકો લેખ: જીવનનો અર્થવિસ્તાર

ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ;
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ

ઉપર રજૂ કરેલી કહેવત વર્ષો જૂની છે અને જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવ તો આના ઉપર અર્થવિસ્તાર ચોક્કસથી લખ્યો હશે. કદાચ નિશાળમાં આના પર અર્થવિસ્તાર લખવું અઘરું હતું અને સમજવું તો એનાથી પણ વધુ મુશ્કેલ. પાંચ ગુણમાં પુછાતા આવા ઘણા અર્થવિસ્તાર ગુજરાતીની પરીક્ષામાં આપણે છોડી દીધા હશે અથવા તો એનો બદલામાં અપાતો વિકલ્પ પસંદ કર્યો હશે.

હવે આજે વિચારીએ તો આના જેવા ઘણા અર્થવિસ્તાર જીવનની પરીક્ષામાં કામમાં લાગે એવા છે. જયારે વાંચીએ ત્યારે એમ થાય આપણે આ વાક્યોને પરીક્ષા પૂરતા જ સીમિત રાખ્યા હતા હકીકતમાં આ આખા જીવનમાં ખૂબ ઉપયોગી હતા. આનો અર્થ ટૂંકમાં સમજીએ તો ગુમાવેલી સંપત્તિ પાછી મળી શકે છે, દૂર સુધી ગયેલા વહાણ પાછા ફરી શકે છે, બસ ગુમાવેલો સમય પાછો મળતો નથી અને ગુમાવેલો જીવ પણ પાછો મળતો નથી.

બીજા અર્થમાં કહીએ તો સંપત્તિ ગુમાવવાનું દુઃખ ન કરવું, વધુ પરિશ્રમ અને સારા વિચારો સાથે માલ મિલ્કત ફરી કમાવી શકાશે. કઈક વસ્તુ ગુમાવી હોય તો પાછા મળવાની શકયતા છે એટલે આશા ન છોડવી. બસ જે શક્ય નથી પાછું આવવાનુ એટલે કે સમય એનો અફસોસ મનાવવાની જરૂર નથી અને ગુમાવેલા સ્વજનો જેણે જીવ છોડી દીધો છે એમને યાદમાં રાખી બાકીનું જીવન આગળ વધારવાનું છે.
✍️નિશાંક મોદી