Friday, August 30, 2019

સત્યઘટના: એક કેળાની લારી

સત્યઘટના: એક કેળાની લારી

આજે શિવમંદિરની બહાર એક વિચિત્ર ઝઘડો જોયો. પાંચ-છ ભીખ માંગવાવાળા એક કેળા વેચનાર લારીવાળાની જોડે રકઝક કરી રહ્યા હતા. એમની મુશ્કેલી એવી હતી કે મંદિરમાં આવતા જતા લોકો ભિક્ષુકોને પૈસા આપવાની જગ્યાએ કેળા આપતા હતા. આ વર્ષના પવિત્ર શ્રાવણમાસનો છેલ્લો મોકો કોઈ જ ચૂકવા માગતું ન હતું અને ગરીબને પૈસા ન અપાય એ માન્યતા સાથે લોકો કેળા વહેચતાં હતા. એક સ્ત્રીભિક્ષુકને તો જોરદાર રીતે લડતા જોઈ. 'તારા તો બધા કેળા વેચાઈ ગયા પણ અમારા છોકરાઓની તબિયત બગડે છે' લારીમાં એક છૂટું કેળું મારીને બોલી, 'આવા કાચા કેળા કેમ વેચે છે, દૂર જતો રહી અહીંથી.'

બાજુમાં બીલીપત્ર વેચવાવાળો આરામથી પોતાનો ધંધો કરી રહ્યો હતો અને ઝગડો જોઈ રહ્યો હતો. એનાથી ભિક્ષુકોને કોઈ તકલીફ ન હતી. હું આ બધું જોઈ ત્યાંથી નીકળી ગયો અને વિચારતો રહ્યો કે, 'આમેય આજે છેલ્લો દિવસ છે, કાલથી નહિ અહીં આટલા ભક્તો આવે, નહિ કેળાની લારી હોય અને સૌથી મોટી વાત કે નહિ આટલા ભિક્ષુકો હોય. આ તો જેમ ટ્વીટર પર ટ્રેન્ડિંગ ચાલે છે એમ આ બધી વસ્તુઓ આજે ટોપ પર છે. બાકી કાલે ફરીથી બીલીપત્રનું ઝાડ એક વર્ષ માટે ગુમનામ બની જશે અને મોતીચૂરના લાડુ ટ્રેન્ડિંગ કરશે.'

અંતિમ સ્પર્શ:
કોણ સાચું, શું સાચું, કેમ સાચું કશું જ સમજાતું નથી,
જવાબ મળી જશે એ જ ડરથી ઈશ્વરને પુછાતું નથી.
- નિશાંક મોદી

Sunday, August 25, 2019

માઇક્રોફિક્શન વાર્તા: ભગવાનનો વારો

'લે દોસ્ત મારો વારો ગયો, હવે તારો વારો આવશે...' શ્રીકૃષ્ણ એ ગણેશજીને કહ્યું. 'ગજબ છે નહીં પ્રભુ, આપણી જ બનાવેલી સૃષ્ટિના ને આપણે જ બનાવેલા માનવો આપણને જુદી જુદી રીતે મનાવે છે.' ગણેશજીએ વાતના શ્રી ગણેશ કર્યા. 'ક્યારેક વાઘા, ક્યારેક લાડુ, ક્યારેક તો ડ્રાયફૂટ આહાહા... એવું લાગે જાણે સ્વર્ગમાં તો આ બધી વસ્તુઓનો સ્ટોક જ નહીં હોય. પ્રભુ તમને શું લાગે છે, આ બધા ખરેખર આટલો પ્રેમ કરે છે કે ખાલી બાહ્ય આડંબર છે.' ગણેશજીએ શંકા વ્યક્ત કરી.

શ્રીકૃષ્ણ એ કહ્યું, 'લોકોને આપણામાં શ્રદ્ધા તો હોય છે પણ ટકતી નથી. ઘરમાં એકાદ ખરાબ ઘટના બનશે અને લોકો ભગવાન બદલી દેશે. કોઈ એકાદ પ્રાર્થનાથી કામ થઈ જાય તો જેમ વેલને વૃક્ષનો સહારો મળે એમ માણસો પાછા બે-પાંચ વર્ષ માટે નવા ભગવાનને ઘરમાં સ્થાન આપશે. હું રોજ પીપળા પાસે ખંડિત થયેલી મૂર્તિને ફોટો આવતા જોવું છું અને વિચારું છું કે મારું સ્થાન પણ ઘરમાં અખંડિત હશે ત્યાં સુધી જ હશે. શંકાકૂશંકા માનવનો સ્વભાવ છે અને આપણો માફ કરવાનો'

આટલું કહી શ્રીકૃષ્ણ વૃંદાવન નીકળ્યા અને ગણેશજી આગમન માટેના તૈયાર થયેલા પંડાલ તરફ વર્યા...
- નિશાંક મોદી