લેખ: સોશિયલ મીડિયા વૉર
પુલવામા થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલ CRPFના જવાનોને શત શત નમન:🙏
પુલવામા બનેલી આ ઘટના અત્યંત દુઃખદ અને દરેક ભારતીયનું મન અને હૃદય હચમચાવી મૂકે એવી હતી. આ ઘટના પછી લોકોએ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતા સ્ટેટ્સ, પોસ્ટ, ફોટોગ્રાફ મુક્યા. અજાણ લોકો પણ દેશની સુરક્ષા માટે કાર્યરત એવા જવાનોના બલિદાન માટે દુઃખ વ્યક્ત કરવું ખૂબ જરૂરી જ હતું.
જ્યાં સુધી વાત શોકની હતી ત્યાં સુધી બધું જ બરાબર હતું. ઘટનાના બે દિવસમાં જ આજકાલ લોકો શોક ભૂલી સોશિયલ મીડિયા પર એક નવું જ વૉર ચલાવી રહ્યા છે. શરૂઆત થાય છે શહીદોની વીરતાથી અને આગળ જતાં એ ભૂલી રાજકીય રાજનીતિમાં લોકો મશગુલ થઈ જાય છે.
ઘણીવાર વિચાર આવે કે ભણેલા ગણેલા લોકો કરતા પેલા અણપઢ લોકો સારા જેમણે ક્યારેય ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ખોલ્યું જ નથી. લોકોએ સમજવું જોઈએ કે કૉમેન્ટ્સમાં મારેલી ગોળીઓ અને સરહદ પર જવાનો જે ખાય છે એ ગોળીઓ અલગ છે. દેશસેવા કરવા માટે જરૂરી નથી કે તમે આર્મીમાં જ જોડાવો. આર્મીમાં જોડાવા માટેના નિયમો હોય છે અને એ પાર કરવાની આપણી લાયકાત પણ નથી. આપણે સૈનિકો જે પોસ્ટ પર કામ કરે છે ત્યાં પહોંચી શકતા નથી એટલે જ આપણે બેઠા બેઠા ફેસબુક અને વોટ્સએપમાં પોસ્ટ કરીએ છીએ.
ઘણી પ્રજા મૂર્ખ છે અને એજ કારણથી વોટ્સએપ પોતાની એપ્લિકેશનમાં ફોરવરડેડનું ફીચર લાવ્યું. ટીવીમાં જ્યારે વોટ્સએપની એડ જોવું ત્યારે લોકો માટે દુઃખ થાય. આજે એક સમાચારપત્રનો વિરોધ થઈ રહ્યો છે પણ માત્રને માત્ર સોશિયલ મીડિયા પર. કોઈ હિંમત બતાવી સામે પડવા તૈયાર થતું નથી. થોડાક દિવસ પછી બધા બધું ભૂલી જશે અને એક જ વાક્ય સામે આવશે 'બે છોડને યાર આપડે શું!'
દેશ સેવા સરહદ પર ગયા વગર પણ થઈ શકે. ટ્રાફિકના નિયમો ફોલો કરીને, કોઈ સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં પોતાનું કામ ઈમાનદારીથી કરીને, જરૂરતમંદને મદદ કરીને, લાંચ આપ્યા અને લીધા વગર, રસ્તામાં થયેલ કોઈ અકસ્માત માટે મદદ કરીને, 108 ને રસ્તો આપીને, પબ્લિક ટ્રાન્સપોર્ટને નુકશાન કર્યા વગર. મીણબત્તી આખા ઘરમાં પ્રકાશ પાથરી શકે પણ એનો ઉપયોગ સારી રીતે થાય તો. નહિતર ઘર બાળવાની શક્તિ એ મીણબત્તી ધરાવે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કંઈક આવો જ છે.
મોટાભાગના લોકોએ ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હશે. કોઈને યાદ છે કે કોઈ એમાં જીત્યું હોય. એ એક એવી સ્પર્ધા છે જેમાં દરેક વ્યક્તિ પોતાનો મત રજૂ કરે છે અને એને સાચો સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. સામેવાળો એનો વિરોધ કરે છે. મોટાભાગની ડિબેટમાં ઓળખીતા વ્યક્તિઓ વચ્ચે મનમોટાવ થઈ જાય છે. આજની સોશિયલ મીડિયા વૉર માણસોના સંબંધ બગાડવામાં એજ રોલ પ્લેય કરે છે. સામસામે એકબીજાની જોડે થયેલી સામાન્ય રકઝક આપણું મગજ ફેરવી નાખે છે આતો વર્ચૂયલ વર્લ્ડ છે જેમાં સામેવાળાને આપણે જોઈ પણ શકતા નથી. માની લઈએ કે, સામેવાળા તમે ચૂપ થઈ જાય એવો જવાબ પણ આપી દો તો શું આપણને પરમવીર ચક્ર મળી જશે. એના અને આપણા બંનેના મન ઊંચા થઈ જશે.
કેટલાય લોકો સમાજ નામના બજારમાં માત્રને માત્ર નેગેટીવી ફેલાવવા માટે છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતે અને બીજાને દુઃખી કરે છે. આ એક પ્રકારનો રોગ જ છે. શહીદો જે લડે છે એને વૉર કહેવાય જ્યાં જાન લેવા અને આપવા બન્ને માટે તૈયાર રહેવું પડે. બાકી ચાર પાંચ મેસેજ ફોરવર્ડ કરી, ડીપી બદલી, લોકો સાથે કૉમેન્ટ્સમાં ઝગડી આપણે આપણું અને સમાજનું નુકસાન જ કરી રહ્યા છે. અને એનો ફાયદો જ આ આતંકીઓ લઈ જાય છે. અફસોસ હજીય એ જ વાતનો છે કે બાળપણમાં શીખેલી પેલી સાત કાઠીવાળી વાર્તા હજુ પણ આપણે સમજી શક્યા નથી અને સાથે રહીને પણ આપણે જુદા છીએ અને અનાયાસે અંદરોઅંદર જાણતા અજાણતા એક સાયલન્ટ વૉર સોશ્યલ મીડિયા થકી ચલાવી રહ્યા છીએ.
અંતિમ સ્પર્શ:
ભૂલી જવાનોની શહીદી, હું કેવો જીદે ચઢું છું,
સમાજ વિખેરી, જોને હું સમાજ માટે લડું છું.
- નિશાંક મોદી
No comments:
Post a Comment