Friday, August 30, 2019

સત્યઘટના: એક કેળાની લારી

સત્યઘટના: એક કેળાની લારી

આજે શિવમંદિરની બહાર એક વિચિત્ર ઝઘડો જોયો. પાંચ-છ ભીખ માંગવાવાળા એક કેળા વેચનાર લારીવાળાની જોડે રકઝક કરી રહ્યા હતા. એમની મુશ્કેલી એવી હતી કે મંદિરમાં આવતા જતા લોકો ભિક્ષુકોને પૈસા આપવાની જગ્યાએ કેળા આપતા હતા. આ વર્ષના પવિત્ર શ્રાવણમાસનો છેલ્લો મોકો કોઈ જ ચૂકવા માગતું ન હતું અને ગરીબને પૈસા ન અપાય એ માન્યતા સાથે લોકો કેળા વહેચતાં હતા. એક સ્ત્રીભિક્ષુકને તો જોરદાર રીતે લડતા જોઈ. 'તારા તો બધા કેળા વેચાઈ ગયા પણ અમારા છોકરાઓની તબિયત બગડે છે' લારીમાં એક છૂટું કેળું મારીને બોલી, 'આવા કાચા કેળા કેમ વેચે છે, દૂર જતો રહી અહીંથી.'

બાજુમાં બીલીપત્ર વેચવાવાળો આરામથી પોતાનો ધંધો કરી રહ્યો હતો અને ઝગડો જોઈ રહ્યો હતો. એનાથી ભિક્ષુકોને કોઈ તકલીફ ન હતી. હું આ બધું જોઈ ત્યાંથી નીકળી ગયો અને વિચારતો રહ્યો કે, 'આમેય આજે છેલ્લો દિવસ છે, કાલથી નહિ અહીં આટલા ભક્તો આવે, નહિ કેળાની લારી હોય અને સૌથી મોટી વાત કે નહિ આટલા ભિક્ષુકો હોય. આ તો જેમ ટ્વીટર પર ટ્રેન્ડિંગ ચાલે છે એમ આ બધી વસ્તુઓ આજે ટોપ પર છે. બાકી કાલે ફરીથી બીલીપત્રનું ઝાડ એક વર્ષ માટે ગુમનામ બની જશે અને મોતીચૂરના લાડુ ટ્રેન્ડિંગ કરશે.'

અંતિમ સ્પર્શ:
કોણ સાચું, શું સાચું, કેમ સાચું કશું જ સમજાતું નથી,
જવાબ મળી જશે એ જ ડરથી ઈશ્વરને પુછાતું નથી.
- નિશાંક મોદી

No comments:

Post a Comment