હાલ સોશિયલ મીડિયામાં એક સ્વાભિમાની દીકરીના લગ્નજીવનની નિષ્ફળતા બાદ આત્મહત્યાનો વિડીયો ચર્ચામાં છે. વિડીયોની શરૂઆત જોતા એમ લાગે કે જાણે કે કોઈ વ્યક્તિ એક સફરની વાત રજૂ કરવાની હોય પણ હકીકત એ નીકળે કે જ્યાં સફરનો અંત રજૂ થાય ને ઘટના દર્દનાક મળે. મૃત્યુ પહેલા જો કોઈ હસીને ખુલ્લા મને વાત કરી શકતું હોય તો એ મોતને આટલું સરળતાથી કેવી રીતે વ્હાલું કરી જાય. પોતાને માફ કરવાની અને બીજાને માફી આપવાની વાત આટલી જો સહજતાથી કહી શકાય તો પછી મૃત્યુ ને ગળે લગાવવાની હિંમત ક્યાંથી મળે. માણસ જ્યારે પોતાના લોકોથી હારે છે ત્યારે વધુ દુઃખી હોય છે. પ્રેમ આપી દેનાર જો પ્રેમ ના પામે તો પરિણામ પીડાદાયી નીવડે છે.
સોશિયલ મીડિયામાં એક વર્ગ ન્યાયાધીશનો પણ હોય છે. જે નામ, ચહેરો, વિસ્તાર પરથી પોતાનો ન્યાય અને સલાહ સૂચનનો વણઝાર કરી દે છે. આમ કરવાનું હતું, આમ નતું કરવાનું, જિંદગી સરળ હોય છે, ગુનેગારને ફાંસી આપો, મા બાપનો વિચાર કરવો હતો વગેરે વગેરે...આટલા વર્ષે પણ માણસ એ સમજી શકતો નથી કે બીજાના માપનું જુતું આપણને ફિટ ન થાય. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, મનની ક્ષમતા, પારિવારિક માહોલ, માનસિકતા, સમય જુદો જુદો હોય છે. જ્યારે નિર્ણય પોતાના માટે લેવામાં આવતો હોય ત્યારે કોઈ સલાહ લેતું નથી બીજા માટે સલાહ આપવા લોકો સતત તત્પર રહે છે.
બનેલી ઘટના કોઈ બદલી શકતું નથી પણ ઘટનાનું પુનરાવર્તન ચોક્કસ બદલી શકાય છે. ઘણા હસતા ચહેરા હૃદયના એક ખૂણામાં દર્દ લઈ ચાલી રહ્યા હોય છે જેને આસપાસના લોકોએ જ સમજવું પડે. માણસ ખુદ લડતા લડતા થાકી જાય એટલે છોડી દે છે પછી એ હઠ હોય, પ્રેમ હોય, નફરત હોય કે પછી જીવન. આસપાસના લોકોને આવા માણસોની અવર્તનિય પરિસ્થિતિને સમજવી પડશે. બાકી બીજાને લીધે દુઃખી થનાર પોતાનું જીવન ટૂંકાતા વાર નહિ કરે. ઘણીવાર માનસિક પરિસ્થિતિ ઉપર લાગણીઓ હાવી થતી જોવા મળે તો ચિકિત્સકની સારવાર પણ જરૂરી છે. શરીરમાં દર્દ ઉઠે તો દવા લેતા માણસ ખચકાતો નથી તો પછી મગજ કે મનમાં દર્દ ઉઠે તો દવા લેતા માણસ કેમ ખચકાય છે. મગજ કે મન પણ શરીરનો એક ભાગ જ છે જે આપણા વિચારો પર કાબુ રાખે છે અને આ વિચારો આપણી નિર્ણયશક્તિ પર.
હસતા હસતા સરળ શબ્દોમાં સૌને માફ કરવાની સાથે પોતાના જીવનને ટૂંકાવી દેનાર એક વ્યક્તિ થોડાક કચાશ ભરેલા શબ્દોમાં કહી ગઈ કે જાણે માણસ જાત પર ભરોસો જ નથી. આવી પરિસ્થિતિ માટે આપણે અને આપણો સમાજ જ જવાબદાર હોય છે. કદાચ એ નાજુક પળ ટળી જાત તો પરિણામ જુદું હોત અને કોઈને દુઆમાં યાદ કરવાની જગ્યાએ વ્યક્તિ ખુદ અલ્લાહ જોડે બીજા માટે દુઆ કરી રહી હોત અને એક નદી જેને આપણે મા કહીએ છીએ એ ક્યારેય વ્યક્તિને સમાવી ના લેત અને જે પિતા સમાન પવનમાં ઉડવાની વાત હતી એમાં આજે પણ કોઈ એક વ્યક્તિની સુંગંધ હોત....
અંતિમ સ્પર્શ:
જી ભર કે જીનેવાલે કી જિંદગી ફિર એક ખ્વાબ હોતી હૈ,
જબ થક જાતી હૈ યે જિંદગી, તબ મૌત મુબારક હોતી હૈ...
✍️નિશાંક મોદી
No comments:
Post a Comment